Feeds:
Posts
Comments

જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે તેઓ કોઇએ નહીં જાણ્યો હોય. મારા પિતા ઝીણાંમાં ઝીણાં કામ પણ પણ નોકરચાકર પાસે નહીં, પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઇતું હોય કે પગ ચાંપવાના હોય, કંઇ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ એમની આસક્તિ કંઇક અલૌકિક હતી.

તે દિવસે હંમેશની રીત પ્રમાણે હું પદ દબાવતો હતો. પગ દાબતાં દાબતાં એમ વિચાર થયા કરે કે આજે છૂટી મળી જાય તો સારું – નાટક જોવાય. કહેવા ગયો, “બાપુ…” પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત ક્યાંક ચોટેલું છે. બીજી વાર કહ્યું “બાપુ, આજે ભારે નાટક છે, ” તોયે જવાબ ના મળ્યો. પણ મને તે દિવસે એવો તો મોહ લાગ્યો હતો કે હું ચેતું શેનો ? ત્રીજી વાર કહ્યું, “આજે ભારે નાટક છે, બાપુ, જોવા જાઉં?” “જ…જાઓ.” એ શબ્દ એમના મોંમાંથી નીકળ્યા, પણ એનો અર્થ “ના જાઓ” એમ જ હતો. છતાં આપણે તો ગયા.

નાટકનો પહેલો જ પડદો ખૂલેલો હતો, અને હું તો નાટકનો ભારે રસ લેવાને તત્પર થઇ રહેલો હતો. તેવામાં ઘરેથી એક જણે આવીને ખબર આપ્યા, “બાપુ તો ઘેર રોઇને માથું કૂટે છે.” હું તરત નીકળી આવ્યો. ઘેર જઇને બાપુની માફી માગી. કંઇ પણ બોલ્યા નહીં. એક પણ કડવો શબ્દ કહ્યો નથી. પોતે જ રોઇને, માથું કૂટીને પોતાનો અણગમો બતાવ્યો.

તે દિવસથી, તેમની જિંદગીમાં તો મેં કદી નાટક નથી જોયો.

  • મો. ક. ગાંધી [ અરધી સદીની વાંચનયાત્રા : 2]

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એનાં મોઘમ ઇશારે ઇશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું

છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સપનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે ….

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,

‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે:

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે.

  • ‘મરીઝ’

 

આ ટાઇટલ જોઇને તરત જ કોઇને નવાઇ લાગે તે સ્વાભાવિક છે. એક તાજમહેલ અને એમાં ચાર ચાર મુમતાજ?? ઇતિહાસકારોને બાદ કરતાં કોઇક જ આ વાત પર વિશ્વાસ કરે કે આ વાત સાચી હોઇ શકે પરંતુ આ હકિકત છે.

શાહજહાં અને મુમતાજના પ્રેમના પ્રેમની નિશાની એટલે તાજમહેલ. આ મશહૂર તાજમહેલમાં મુમતાજ સિવાય શાહજહાંની ત્રણ બેગમોના મકબરા છે. જે મુખ્ય મકબરા એટલે મુમતાજ મહલના મકબરાની જેમ જ મુગલ વાસ્તુકલાના શ્રેષ્ઠ નમુના છે. હાલના સમયમાં આ શ્રેષ્ઠ નમુના એ.એસ.આઇ [Archaeological Survey of India] ના કબજામા છે.

મુગલ બાદશાહ શાહજહાંએ મુમતાજના મૃત્યુ બાદ તેની યાદમાં તાજનું નિર્માણ સન 1631 થી 1653 દરમ્યાન કરાવ્યું હતું. પ્રેમની આ નિશાનીને જોવા માટે આજે લાખો લોકો દેશ-વિદેશથી લાંબા થાય છે એટલે કે જોવા માટે આવે છે, તોને આ વાતનો જરાક પણ અહેસાસ નહી, જાણ નહી હોય કે ખુબસુરત તાજમાં શાહજહાંની એક નહી…બીજી ત્રણ રાણીઓના મકબરા પણ હોય શકે છે…અને જે છે. બબ્બે વખત તાજમહેલ જોયાં બાદ મને પોતાને આ વાત આજે ખબર પડે છે, અત્યારે થાય છે કે આવા કોઇ પણ ઐતોહાસિક સ્થળની મુલાકાતે જવું હોય તો તેની પૂરેપૂરી માહિતી મેળવ્યા બાદ જ જવું જોઇએ. પાછળથી આવી રસપ્રદ વાત જાણવા મળે ત્યારે અફસોસ થાય છે કે આ રહી ગયુ….!! જે માત્ર જવા ખાતર જતા હોય તેને આ વાત લાગુ નથી પડતી.

તાજના પૂર્વીય ગેટની ડાબી બાજુ બનેલ ખંડ (વર્તમાન સમયમાં આ જગ્યા સી.આઇ.એસ.એફ [The Central Industrial Security Force ] ના કબ્જામાં છે) ની ઉપર શાહજહાંની બેગમ ઇઝુન્નિસાનો મકબરો સ્થિત છે. ઇઝુન્નિસા મુગલ બાદશાહ અકબરના નવરત્નમાં શામિલ અબ્દુલ રહીમ ખાનખાનાની પૌત્રી હતી. શાહજહાં સાથે લગ્ન કર્યા બાદ ઇઝુન્નિસાને “અકબરાવાદી મહેલ બેગમ”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. એ.એસ.આઇના કહેવાના મુજબ શાહજહાંએ તાજના નિર્માણ દરમ્યાન સન 1631 થી 1648ના સમયગાળા દરમ્યાન આ મકબરા બનાવવામાં આવ્યો હતો. મકબરામાં અકબરાવાદી મહેલ બેગમની સફેદ સંગેમરમરની કબ્ર સ્થિત છે, જેનાં પર પથ્થરના જુદાં જુદાં રંગના નાના ટુકડાથી બનાવેલ ફૂલની આકૃતિ ચિતરવામાં આવી છે, જે મુગલકાલીન કારીગરીનો બહેતર નમૂનો છે.

આ જ પૂર્વ ગેટની જમણી બાજુ બનેલ ખંડ ( વર્તમાન સમયમાં અહીં પોસ્ટ ઓફિસ બનાવેલી છે) ની ઉપર શાહજહાંની બેગમ ફતેહપૂરી મહલ બેગમનો મકબરો સ્થિત છે. આ મકબારાનું નિર્માણ સન 1639 થી 1648ના સમયગાળા દરમ્યાન થયું હતું.

આ સિવાય તાજના પૂર્વ ગેટની બહાર ગૌશાળાની સામે શાહજહાંની ત્રીજી પત્ની સરહિંદી બેગમનો મકબરો તેમજ મસ્જિદ સ્થિત છે. જે અન્ય મકબરાની જેમ્ મુગલ વાસ્તુકલાનુ એક ઉદાહરણ છે. સરહિંદી બેગમ સરહિંદ કે ગવર્નરની પુત્રી હતી અને તેના મકબરાનું નિર્માણ બાકીના મકબરા સાથે જ કરવામાં આવ્યું.

આશ્ચર્યની વાત તો એ છે એ આ મકબરા સુધી કોઇ પહોંચી નથી શકતું. દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પેમના પ્રતીકને નીહાળવા માટે આવે છે પરંતુ આ મકબરા સુધી જનાર પ્રવાસીની સંખ્યા શૂન્ય છે. કારણ એ છે કે તાજમહેલની અંદર કોઇ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ નથી કે આ વિશેની જાણકારી આપનાર પણ કોઇ નથી કે શાહજહાંની અન્ય બેગમોના મકબરા પણ આ ભવ્ય સ્મારકમાં છે.

આ ઉપરાંત એ.એસ.આઇ. એ અકબરાવાદી મહલ બેગમ તેમજ ફતેહપૂરી મહલ બેગમના મકબરા સુધી પહોંચાડતા માર્ગ પર તાળાં મારી રાખ્યા છે. અહી સી.આઇ.એસ.એફ. ના જવાન પોતાની ફરજ બજાવતાં કાયમ હાજર હોય છે. સરહિંદી બેગમનો મકબરો ખુલ્લો છે, પરંતુ સ્મારકનો એક ભાગ હોવા છતાં તે ગેટની બહાર છે, આવામાં ત્યાં કોઇ પહોંચી નથી શકતું. આ વિશે જેને જાણકારી હોય અને જેઓ આ સ્મારકોની વિઝિટ કરવા માંગતા હોય તેને તાજ સહાયકો પૂરતો સહકાર આપે છે. હજી તમારમાંથી કોઇ તાજમહેલ જોવા જઇ રહ્યાં હોય અથવા જવાનુ પ્લાનીંગ હોય તેઓ સહાયકોની મદદથી આ મકબરા સુધી પહોંચી શકે છે. So get ready for ths….:)

તું કોઇ અમેરિકન પત્નીની જેમ

મને છોડીને ચાલી તો ન ગઇ.

તેં મને

અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે

કોર્ટમાં બદનામ પણ ન કર્યો.

ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી.

માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું બોલી ગઇ:

.

.

.

“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ !”

  • વિપિન પરીખ

આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા અમદાવાદ જવા જેટલું ગાડીભાડું ખરચવાની એમની ત્રેવડ નહોતી, એટલે અનિલ પણ ત્રણ વરસમાં ફક્ત બે વાર સૌને મળવા ઘેર આવી શકેલો. ધરતીકંપ પછી બે દિવસે રત્નાલના એક પાડોશીનો સંદેશો અમદાવાદ આવેલો કે અનિલનાં માબાપ તથા દસ વરસનો ભાઇ જોગેશ ખતમ થઇ ગયાં છે. ત્રણેક વરસનો એકલો જિગર ઇજાઓ પામવા છતાં બચી ગયો છે. અનિલના કાકા રાજુભાઇ કહે છે કે, “સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સૂનમૂન બનીને આકાશમાં તાકી રહે છે ને રડતાં થાકતો નથી.”

ત્યારે દૂર દૂરના રત્નાલનાં નાનો જિગર વાચા ગુમાવી બેઠો છે. ધરતીકંપ થયો ત્યારે તેની માતા મંજુલાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતાં હતાં – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું. તેને બચાવવા દોટ મૂકનાર પતિ પણ દટાઇ ગયા. સડકની સામી બાજુ વાઘજીના બીજી એક ભાઇ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા.. ધણધણાટી સાંભળીને એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઇનનું ઉદઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે. પાછું વળીને જોયું તો ધૂળના ગોટેગોટા ચડ્યાં હતા, ને એમણે હડી કાઢી. સિમેંટના બે મોટા સ્લેબ વચ્ચે જિગરને ફસાયેલો તેમને જોયો. એના પેટ પર મોટો ઘા પડયો હતો ને એ શ્વાસ લેવા ફાંફા મારતો હતો. ભંગાર હેઠળથી એને જ્યારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે બાકીનું  કુટુંબ ખતમ થઇ ગયું છે. કાકા કહે છે, “બસ, ત્યારથી જિગર બોલતો સમૂળગો બ્ંધ થઇ ગયો છે. એ રડી પણ શકતો નથી.”

  • સૌતિક બિશ્વાસ

ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના અંધાધૂંધ ગામની ગેમેક્સીન ને ગંડવાડથી ગંધાતી, પાણીની ખાલી કોથળીઓથી છવાયેલી શેરીઓમાં બાવરાં બનીને આથડે છે અને જે કાંઇ રાહત-સામગ્રી મણે તેની ઝૂંટાઝૂંટ કરે છે, પણ આ તંબૂમાંથી નીકળીને કોઇક  નિવાસમાં જેનાબહેન જ્યારે જશે ત્યારે, અગાઉ એક છાપરા હેઠળ ટાયર-મરામત કરીને રોટલો રડનાર એમનાં ત્રણ બાળકોનો બાપ કાસમ આ બધાંનો ગુજારો કેમ કરીને કરી શકશે? “કાલનો તો હું વિચાર જ નથી કરતી,” જેનાબહેન કહે છે, “અત્યારે તો પરવરદિગારનો પાડ માનું છું  કે અમારે માથે કાંઇક છાપરું તો છે અને છોકરાં ખેતરમાં રમે છે.”

હા, કહે છે કે કાસમનો ભાઇ હાસમ, તેની બીબી નસીમ અને આ ચાર બાળકોનું સુખી કુટુંબ હતું. વાસણની ફેરી કરીને હાસમ ઘર ચલાવતો. એનો ધંધોપણ સારો ચાલતો. પોતાની બચતમાંથી 40,000 રૂ. ચૂકવીને એણે બે ઓરડીનું પાકું ધર હજી બે મહિના પર જ લીધું હતું. આઠ વરસના અસીફ ને છ વરસના નજીરને એ નોશાળે પણ મોકલતો હતો. ધરતીમાતાએ પડખું બદલ્યું તે સવારે છોકરા બેય નિશાળે ગણિતના વર્ગમાં. વર્ગના ઓરડાઓ  તૂટી પડતા જોઇને એ ત્યાંથી ભાગી છૂટેલા ને ખુલ્લી પણ થરથરતી જમીન પર લેટી પડેલા. ચાર વરસની નજમા અને બે વરસની શબનમ ઘેર મા પાસે હતી. રોજની જેમ ગામની ફેરી હાસમે હજી માંડ શરૂ કરી હતી, એક શેરીયે તેણે હજી વટાવી નહોતી. ત્યાં ફેરી કાયમ માટે પૂરી થઇ ગઇ.

અસીફ ને તેનો નાનો ભાઇ નિશાળેથી આવ્યા ત્યારે પાડોશીએ મળીને એમની માતાને ભંગાર હેઠળથી હમણાં જ કાઢેલી હતી. અસીફ તેની વાત કરે છે ને એની આંખમાં આંસુ ઊભરાય છે. “એના માથામાંથી ખૂબ લોહી નીકળતું  હતું. મેં પૂછયું કે, તને બહુ દુ:ખે છે, અમ્મા? એ માંડ માંડ બોલી કે, લૂગડાનો કટકો લાવીને ઘા પર ઢાંકી દે. બસ પછી એ બોલતી બંધ થઇ ગઇ. કોઇએ મને કહ્યું કે એ મરી ગઇ.”

તે પછી છોકરો પોતાના બાપને ગોતવા લાગ્યો. વાસણની લારી પર પડેલું એનું શરીર મળી આવ્યું, એના માથા ને ગળા ઉપર શિલાઓના ટુકડા પડેલા હતા. રાત પડે છે ને નાના નાના આંચકાઓ તંબૂને ધ્રુજાવે છે ત્યારે એ ચાર અનાથ બાળકો જેના બહેનને જકડીને વળગી પડે છે. રોજ રાતે નજમા રડ્યા કરે છે: ” મારી અમ્માને પાછી લઇ આવો! મને મારી અમ્મા આપો!”

અંજાર શહેરનાં હજારોનો ભોગ લેનારા ભૂકંપને આગલે દિવસે એક લગ્ન હતાં. તે માટે બંધાયેલા ભભકાદાર માંડવાની નીચે આશરો લઇ રહેલાં 200-300 માનવીઓમાંની એક છે ત્રણ વર્ષની રીચા. દાદીમાના પડખામાં ભરાઇને એ બેઠી છે, આંખો ઝીણી કરીને એ દૂર દૂર તાકી રહી છે, અને થોડી થોડી વારે વિલાપ કરતી રહે છે: ” મારી બા ક્યાં છે? બા ક્યાં છે? મને મારી બા ગોતી ધોને !”

બે માળના નાના મકાનમાં એ કુટુંબના ફ્લેટમાં તે દિવસે રીયા દાદીમાને પાસે રમતી હતી, ને ધરતી ધણધણી ઊઠેલી. કોણ જાણે કેમ દાદીને સૂઝયું અને બાળકીને ઝટ ઉપાદીને એક ખાટલા હેઠળ લપાઇ ગયાં, ભયથી કંપી ઊઠયાં. ત્યાંથી એમની નજર પડી રીચાના બા ઉપર – દોડતી એ ઓરડામાં આવતી હતી ત્યાં એની ઉપર ધોધમાર ભંગાર તૂટી પડયો. રીચાના બાપા બાજુના મકાનમાં પોતાની દુકાનમાં કામ કરતાં હતાં – અંજાર જેને માટે મશહૂર છે તે કાપડ-છપાઇનું. થોડા દિવસ પછી ભંગાર નીચેથી એમનો નિષ્પ્રાણ દેહ ખાંચી કાઢવામાં આવેલો ….

70 ઉપર પહોંચી ગયેલાં પાર્વતીમાની આંખે ઝાંખપ આવી ગઇ છે. રાત પડે ને માંડવામાં ટૂંટિયાં વળીને પડેલાંનાં હાડ ઠંડી થિજવી નાંખે, ત્યારે રીચાનું રુદન થંભે છે ને એ ઊંઘમાં ઢળી પડે છે. દાદી વિમાસે છે કે પોતે હવે કેટલું જીવવાનાં? આ છોકરીને શું ખવડાવશે?  આવતીકાલનો વિચાર કરતાં એક જ સમસ્યા એમને ઘેરી વળે છે: ‘ અરેરે, અમે વળી શી રીતે બચી ગયાં, શીદને જીવતાં રહ્યાં ?’

[ હજી આ પછીના બે પ્રસંગો કંપાવી મુકે એવા છે... સમયની મારામારી વચ્ચે અત્યારે લખી શકાય તેમ નથી !! Will write it soon]

ભારત, 1983 વિશ્વ કપની જીતના અગ્રણી ખિલાડી મોહિંદર અમરનાથને બી.સી.સી.આઇએ વર્ષ 2008-2009 માટે સી.કે.નાયડુ ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે.

અમરનાથ ક્રિકેટ જગતમાં ‘જિમ્મી’ના નામેથી ઓળખાય છે. 1969-1989 સુધી ભારતીય ક્રિકેટ ટીમનાં અગ્રણી ખેલાડી તરીકે અને અત્યારે ક્રિકેટ એનાલિસ્ટ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. 1969માં ઓસ્ટ્રેલિયન ટીમથી શરુઆત કરનાર આ ક્રિકેટર 1981-1982ની સાલમાં રણજી ટ્રોફી જીતનાર દિલ્હી ટીમના સુકાની રહી ચૂક્યા છે. આ જ સમય દરમિયાન અમરનાથે 11 ટેસ્ટ મેચો રમી જેમાં 5 પાકિસ્તાન અને 6 વેસ્ટઇન્ડિઝ વિરુધ્ધ હતી, આ બન્ને સિરિઝમાં અમરનાથે 1000 ઉપર સ્કોર હાંસિલ કર્યો હતો. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ સુકાની તેમજ મોહિંદર અમરનાથના પિતા શ્રી લાલા અમરનાથ 1994થી શરૂ થયેલ આ પુરસ્કારના પ્રથમ હકદાર હતાં, કે જેઓએ બાંગ્લાદેશ તેમજ મોરક્કો જેવી રાષ્ટ્રીય ટીમોને કોચીંગ આપ્યું હતું તેમજ રાજસ્થાનની રણજી ટ્રોફી ટીમને પણ કોચીંગ આપવામાં મદદરૂપ બન્યાં હતાં.

લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ 15 લાખ રુપિયા સાથે બી.સી.સી.આઇ.ના સમારોહ દરમ્યાન અમરનાથનું સન્માન કરવામાં આવશે. અમરનાથે 1969 થી લઇને 1988 સુધીમાં 69 મેચોમાં 4378 રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત 85 વન ડે મેચમાં ભાગ લઇને 1924 રન બનાવ્યાં. 1983ના વિશ્વ કપમાં સેમીફાઇનલ તેમજ ફાઇનલ બન્નેમાં મેન ઓફ ધી મેચનું બીરુદ મેળવનાર મોહિંદર અમરનાથને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન.

સી.કે.નાયડુ લાઇફ ટાઇમ એચીવમેન્ટ મેળવનાર ભૂતપૂર્વ વિજેતાઓ:

1994 – Lala Amarnath

1995 – Syed Mushtaq Ali

1996 – Vijay Hazare

1997 – K.N. Prabhu

1998 – Polly Umrigar

1999 – Hemachandra Adhikari

2000 – Subhash Gupte

2001 – Mansoor Ali Khan Pataudi

2002 – Bhausaheb Nimbalkar

2003 – Chandrakant Borde

2004 – Bishan Singh Bedi, Bhagwat Chandrasekhar, Erapalli Prasanna, Srinivas Venkataraghavan

2007 – Nariman Contractor

2008 – Gundappa Viswanath

સ્ત્રી હોય તેનાં કરતાં અધિક સોહામણી ક્યારે લાગે ?

માથે બેડું લઇને લચકાતી ચાલે સામેથી આવતી પનિહારી, હોય તેના કરતાં અધિક સુંદર દીસે છે. માથે બેડું હોય ત્યારે ચાલ બદલાઇ જાય છે. સંતુલન અને સંવાદિતાનું મિલન થાય ત્યારે સૌંદર્ય પ્રગટ થતું દીસે છે. ગાગરમાંથી છ્લકાયેલું પાણી કાયા પર ઢ્ળેલું હોવાથી સૌંદર્ય પણ સહેજ ભીનું બને છે. ચહેરા પર લોહી ધસી આવે, તેથી એ અધિક સોહામણો દેખાય છે. માથે બેડું હોવા છતાં બે હાથ છૂટાં રાખીને પનિહારી ચાલે ત્યારે સાક્ષાત કવિતા ચાલતી હોય એવું લાગે.

મુગ્ધતા સ્ત્રીના ચહેરાનો શૃંગાર છે. મુગ્ધતા એટલે કુંવારું કુંવારું અપ્રદુષિત પાગલપણું. આવું પાગલપણું નવોઢાના ચહેરાનો શણગાર છે. ચહેરા પરથી કશુંક ઠલવાતું જણાય છે. પ્રમાણમાં ઓછી સુંદર સ્ત્રી પણ ક્યારેક મુગ્ધતાને કારણે નમણી લાગે છે.

ઢળતી ઉંમરે મુગ્ધતા ધીરે ધીરે ઓસરે છે. ફૂલમાંથી ફળ પ્રગટે તેમ મુગ્ધતામાંથી પ્રગલ્ભતા પ્રગટ થાય છે. ઉંમરે વધે તે સાથે પરિપક્વતા આવે, ત્યારે ખબર પડી જાય છે કે ભૂતપૂર્વ મુગ્ધતાનું જ આ રમણીય રૂપાંતરણ છે. પ્રગલ્ભતા આકર્ષણને અકબંધ રાખે છે. પ્રગલ્ભતા એટલે પ્રતિભાનો મનોહર નિખાર. સુંદર સ્ત્રી હોવું એ જેવીતેવી વાત નથી; પરંતુ સુંદર હોવા સાથે સમજુ હોવું, એ તો સ્ત્રીની અનોખી અમીરાત છે.

મનુષ્ય સિવાયનું બીજું કોઇ પ્રાણી શરમ અનુભવતું જાણ્યું નથી. શરમની લાગણી થવી, એ તો મનુષ્યને પ્રાપ્ત થયેલું અત્યંત નાજુક વરદાન છે. સ્ત્રીની લજ્જા મનુષ્યતાનું મહામૂલું ઘરેણું છે. શરમાળ સ્ત્રી, હોય તેનાં કરતાં અધિક સુંદર દીસે છે. સ્ત્રીની શોભા મંગળસૂત્રથી વધે, તેના કરતાં શરમના શેરડાથી અધિક વધે છે.

સમાજમાં ટકી રહેલી બે આંખની શરમ માણસાઇની આધારશિલા છે. જેને લોકો ધર્મ કહે છે, તેનું કાળજું મે આંખની શરમમાં રહેલું છે. બે આંખની શરમ એટલે મર્યાદાની માવજત, જગત આખું મર્યાદા પર નભેલું  છે. ગ્રહો, ઉપગ્રહો અને તારાઓ પોતાની ભ્રમણકક્ષા છોડીને આમતેમ અટવાતા નથી. સમુદ્ર મર્યાદા પાળીને સદીઓથી મોજાંને રમાડતો રહ્યો છે. પરિવારના પાયામાં મર્યાદા રહેલી છે. પરિવારમાં બે આંખની શરમ ખૂટી પડે ત્યારે જ દહેજ-મૃત્યુ શક્ય બને છે. બધી મર્યાદા ખતમ થાય ત્યારે યુધ્ધ થાય છે. આ બધી દુર્ઘટનાઓ દ્વારા માણસની બેશરમી પ્રગટ થતી હોય છે. બેશરમી એટલે મર્યાદાલોપ.

  • ગુણવંત શાહ  ['નીરખે ગગનમાં' પુસ્તક]

82 વર્ષની ઉંમરે શ્રી મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન બન્યા.

બીજું તો ઠીક, સામાન્ય માણસને અહોભાવ જાગે ક્ગ્ગે. 82 વર્ષે વડાપ્રધાન! 82 વર્ષનો માનવી આટલો મોટો બોજો ઉપાડવા માટે શારીરિક અને માનસિક દ્રષ્ટિએ કેટલો બધો સુસજ્જ હોવો જોઇએ? મોરારજી દેસાઇ ટટાર ચાલે અને ટટાર બેસે છે. એમની અદામાં કે અવાજમાં આઠ દાયકાની ઉંમરનો ભાર દેખાતો નથી.

માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઇને પથારીમાં ના પડે અને નિરોગી જીવન જીવે તેનું કાંઇ રહસ્ય છે ખરું? એનું રહસ્ય એટલું જ છે કે ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ના દેવાં હોય તો કોઇ પણ સંજોગોમાં મનથી ટટાર રહો.

આપણે ત્યાં માણસો મનથી હારી જાય છે, વહેલાં હારી જાય છે અને મનથી વહેલાં નિવૃત થઇ જાય છે. ઉંમરનો કાંટો 55-58 આસપાસ પહોંચે, ત્યાં માણસો થાકીને બેસી જવાની તૈયારી કરે છે.

જે દેશમાં લાખો જુવાનો કામ શોધતા હોય ત્યાં માણસોએ અમુક ઉંમરે નોકરી છોડવી પડે, તેવું તો ગોઠવવું જ પડે. નોકરી, બેશક, છોડી દો, પણ જીવવાનું બંધ ના કરો. તમારી ઉંમર ગમે તેટલી હોય, તમે તમારી જાતને ખોડા ઢોર જેવી ના ગણો. માણસ છો, તો છેલ્લી ઘડી સુધી લડો – લડતાં લડતાં જ મરો, મરતાં મરતાં પણ લડો. એટલું નક્કી કરી નાખો કે, મરીશ તો લડતાં લડતાં જ મરીશ: યમરાજ મળવા આવશે તો તેને ઓફિસ કે દીવાનખાનામાં જ મળીશ – શયનખંડમાં નહીં જ મળું.

જેમણે જિંદગીમાં કાંઇક કર્યુ છે, તેવા માણસોનાં જીવન તપાસશો તો તમને દેખાશે કે, આ લોકો કામ કરતા રહ્યા છે. કપરો સંગ્રામ ખેલતા રહ્યા છે, વારે વારે પોતાની ઉંમરનાં ટીપણાં ઉખાળતા બેસી રહ્યા નથી.

પશ્ચિમ જર્મનીના એક વારના ચાંસેલર એડોનેરનું જીવન જ 60 વર્ષ પછી શરૂ થયું હતું. ચર્ચિલનું સાચું રાજકીય જીવન પણ 60 વર્ષ પછી શરુ થયું. ચર્ચિલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે, ચર્ચિલનું મૃત્યુ 60 વર્ષે થયું હોત તો બ્રિટનના ઇતિહાસમાં તેનું નામ કોઇ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઇ ગયું હોત. ચંગેઝખાનની જિંદગી ખરેખર 56મા વર્ષે શરૂ થઇ હતી. બ્રિટનના જાજરમાન વડાપ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીની સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર 55 વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદભાગી બન્યા. અંગ્રેજીમાં લાખો લોકો આજે પણ જે કથા રસપૂર્વક વાંચે છે, તેનાં હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન ક્વીઝોટ’ નો લેખ સર્વાન્ટીસ દારુણ ગરીબીમાં 58 વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન 55 વર્ષના થયા ત્યાં સુધી તેમને જિંદગીમાં કરુણ પરાજયો જ મળ્યા હતા.

જિંદગીમાં કોઇને વહેલી સફળતા કે ખ્યાતિ મળે, કોઇને ખૂબ મોડી મળે, અને ઘણાંને તો કદાચ મળે પણ નહીં. પરિણામો આપણા હાથમાં નથી, કર્મ આપણા હાથમાં છે. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર નક્કી કરી નાંખવું જોઇએ અને પછી તેમાં ગુંથાઇ જવું જોઇએ.

આપણે શાંત અને સુરક્ષિત જિંદગીના ખ્યાલમાં વધુ પડતા ઠંડા અને કાયર બની ગયા છીએ.

તમારી ઉંમર ગમે તે હો – હવે તમે જીવવાનું શરૂ કરો. હજું મોડું થયું નથી. કોઇ ઉંમરે, ક્યારેય મોડું થતું નથી. કોઇક મનપસંદ કામ લઇને તેનો યજ્ઞ આરંભી દો. જિંદગી એક લાંબા પંથ જેવી છે. મોત ક્યારે અને કઇ ઝાડીમાંથી આપણી ઉપર ત્રાટકવાનું છે તે આપણને ખબર નથી. આપણે તેની બીકથી રસ્તામાં વારેવારે ઊભા રહેવાની કે બેસી જવાની જરુર નથી. ચાલતા જ રહો, કામમાં એટલા બધા ડૂબી જાવ કે ખુદ યમરાજા તમને ‘ડિસ્ટર્બ’ કરતાં ખચકાટ અનુભવે.

  • ભૂપત વડોદરિયા

[ગુજરાત સમાચાર દૈનિક: 1977]

 

Older Posts »